- નામાંકિત ચુનીલાલ પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રોએ ઉછીના લીધેલા નાણાં રૂ. 85.87 લાખ મિત્રને પરત નહીં આપી છેતરપીડી કરતાં ચકચાર
- છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી
- સુરત કોર્પોરેશનમાં ફરજ બજાવતા મિત્રે અન્ય 3 પાસેથી ચોક્સીઓનું દેવું પૂરું કરવા નાણાં આપ્યા હતા
- ચેક રિટર્ન થવા સાથે 12 કિલો સોના-ચાંદીના દાગીના પણ ડુપ્લિકેટ નીકળ્યા
WatchGujarat. ભરૂચ શહેરમાં થોડા વર્ષો પહેલા જ CHC ચુનીલાલ પોપટલાલ જવેલર્સે ઉઠામણું કરતા કેટલાય લોકોને રોવાનો વારો આવ્યો હતો. દેવાદાર બનેલા પોપટલાલ જવેલર્સે સુરત કોર્પોરેશનમાં ફરજ બજાવતા મિત્ર અને અન્ય 3 તેના મિત્રો પાસેથી રૂપિયા પોણા કરોડથી વધુ લેણદારોને ચૂકવવા લીધા હતા. જેની સામે આપેલું 12 કિલો સોનુ અને ચાંદી બોગસ (નકલી) નીકળવા સાથે સુરતના કોર્પોરેશનના કર્મચારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ શહેરમાં આવેલ ચુનીલાલ પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રોએ ઉછીના લીધેલા નાણાં રૂ. 85.87 લાખ પરત નહીં આપી છેતરપીડી કરતાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચના મકતમપૂર વિસ્તારમાં આવેલ ગાયત્રી ફ્લેટમાં રહેતા પંકજકુમાર ઈશ્વર ઉમરીગર સુરત મહાનગર પાલિકામાં નોકરી કરે છે. જેઓ પાસે ભરુચની નામાંકિત ચુનીલાલ પોપટલાલ જવેલર્સના ભાગીદાર દિનેશ મુકેશચંદ્ર ચોક્સી,બ્રીજેશ મુકેશચંદ્ર ચોક્સી અને તેઓના પિતા મુકેશચંદ્ર જયેન્દ્ર ચોક્સીએ દેવું ચૂકવવા માટે ઉછીના નાણાંની માંગણી કરી હતી.
સુરત કોર્પોરેશનના કર્મચારી પંકજકુમાર ઉમરીગરે પોતાના મિત્ર કૃણાલ મિસ્ત્રી, દિપક વસાવા અને મુકેશ રાજપૂત સહિતના અન્ય લોકો પાસેથી લઈ અલગ અલગ રીતે કુલ રૂ. 85.87 લાખ આપ્યા હતા. જે પરત માંગવા લેણદારો પાસે પોપટલાલ જવેલર્સના ઘરે વિઠ્ઠલ પટેલ સોસાયટી ગયા હતા તે દરમિયાન પિતા-પુત્રોએ નાણાં નહીં હોવાનું જણાવી ભોલાવ જી.આઈ.ડી.સી.માં આવેલ કેનોઈ મિનરલ વોટર પ્લાન્ટ નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી આપ્યો હતો.
અને વેચાણ દસ્તાવેજ કરી આપવા વાયદો કરી વેચાણ દસ્તાવેજ નહીં કરી પ્લાન્ટનો કબ્જો પણ નહિ સોપી 12 કિલોના સોના-ચાંદીના ઘરેણાં અને ત્રણ ચેક આપ્યા હતા. જે સોના-ચાંદીના નકલી ઘરેણાં અને ચેક રિટર્ન થતાં તેઓ પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. પોણા કરોડ ઉપરાંતની છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ સામે ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી ગઇ છે.