સયાજીગંજ પોલીસને કાર મળી પણ કાર કોણ ચલાવતુ હતુ તેની ખબર નથી ?
પોલીસ અકસ્માત સર્જનાર અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધી
અકસ્માત સર્જનાર યુવક તબીબનો પુત્ર હોવાની પણ ચર્ચા
WatchGujarat. કોરોનાની મહામારીની પગલે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે પુરઝડપે યુવાને કાર હંકારી રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરેલી રિક્ષાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રિક્ષાનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. જ્યારે કાર પલ્ટી મારી જતા સ્થાનિકોએ કાર ચાલક યુવાનને માંડ માંડ બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બનાવને પગલે સયાજીગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો પરંતુ અકસ્માત સર્જનાર કોણ હતુ તેની પોલીસને જાણ નથી તેવુ લાગી રહ્યું છે.
બનાવ અંગે અકસ્માતમાં ઇજા પામેલા રિક્ષા ચાલક સંજય રાઠવાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, ગત મોડી રાત્રે આજવા રોડથી રિક્ષામાં પેસેન્જરને રેલ્વે સ્ટેશન ખાતે છોડવા માટે આવ્યો હતો. રેલ્વે સ્ટેશન સામે પેસેન્જરને ઉતાર્યા બાદ રિક્ષામાં પાછળની સીટ ઉપર બેસી અન્ય પેસેન્જરની રાહ જોઇ રહ્યો હતો. તેવામાં રાત્રીના અંદાજીત 2-15 વાગ્યાની આસપાસ પંડ્યા બ્રીજ તરફથી પુરઝડપે આવેલી આઇ-20 કારના ચાલકે રિક્ષાના પાછળના ભાગે અથાડી દીધી અકસ્માત સર્જી માર રિક્ષા અને હું બન્ને જનમહેલના ફુટપાથ પર ફેંકી દીધા હતા. જેથી મારી રિક્ષા પલ્ટી મારી જતા હું રિક્ષામાં દબાઇ ગયો હતો.
મોડી રાત્રે સર્જાયેલા આ ગંભીર અકસ્માતને જોતા લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. અને રિક્ષામાં ફસાયેલા ચાલક અને કારમાં ફસાયેલા યુવાનને બહાર કાઢી સારવાર અર્થે 108માં સયાજી હોસ્પિટલમાં ખાતે મોકલવામાં આવ્યાં હતા. જોકે કાર ચાલકે ચિક્કાર દારૂના નશામાં હોવાથી તેણે જનહમેલ પાસે વળાંક અંદાજીત 100 કિ.મી સ્પીડે ટર્ન લેતા સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનુ નજરે જોનારનુ કહેવુ છે. તેમજ કાર ચાલક શહેરના એક તબીબનો પુત્ર હોવાનુ પણ ચર્ચાઇ રહ્યું છે.