કોર્પોરેશનના ચીફ વીજીલન્સ અધિકારી જાડેજા, પંચો, કોર્પોરેશનના કર્મચારીઓ, પોલીસ, પીએસઆઈ, સહિત કુલ 15 સાહેદોને તપાસમાં આવ્યા
અદાલતે બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ આરોપી ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણી સહિત 10 આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કર્યો
WatchGujarat. શહેરમાં આવેલા રવિરાજ પાર્કમાં 15 વર્ષ પૂર્વે ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં કોર્પોરેશન કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે ચીફ વિજિલન્સ અધિકારી દ્વારા 200 થી 250 લોકોના ટોળા સામે બારી બારણાના કાચ, નેઈમ પ્લેટો તોડી નુક્સાન કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા પૂર્વ કોર્પોરેટર નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ઉપરાંત કમલેશ મિરાણી સહિત 10 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
આ કેસની હકીકત મુજબ કોર્પોરેશન દ્વારા 15 વર્ષ પૂર્વે રવિરત્ન પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. જેના વિરોધમાં ભાજપનાં જ પૂર્વ કોર્પોરેટર ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, અને કમલેશ મીરાણી તેમજ માવજીભાઈ ડોડીયા, વિશ્ર્વ હિન્દુ પરીષદના શાંતુભાઈ હરીભાઈ, અમીત ભોરણીયા, લાભુ વાસ્તા, આર.સી. પટેલ, સારા જોગરાણા, અને પ્રવિણભાઈ લોધેશ્ર્વર સહિત 200-250 લોકોના ટોળા દ્વારા મ્યુ. કમિશ્નરની ઓફિસમાં સરકારી પ્રોપર્ટીની તોડફોડ કરી બારી બારણાના કાચ, નેઈમ પ્લેટો, તોડી નાખી રૂ. 2000 નું નુક્શાન કરાયું હતું.
સમગ્ર મામલે ચીફ વીજીલન્સ અધિકારી જી.કે જાડેજા દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ મુકાયું હતુ. આ કેસ ચીફ જ્યુ.મેજી. સમક્ષ ચાલેલ દરમિયાન આરોપી અમિત ભોરણીયા અને લાભુ વસ્તાનું મૃત્યુ થતા 10 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. જેમાં કોર્પોરેશનના ચીફ વીજીલન્સ અધિકારી જાડેજા, પંચો, કોર્પોરેશનના કર્મચારીઓ, પોલીસ, પીએસઆઈ, સહિત કુલ 15 સાહેદોને તપાસમાં આવ્યા હતા.
અદાલતે બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ આરોપી ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણી સહિત 10 આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કર્યો છે. આ કેસમાં આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નશીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો. તારક સાવંત, કાર્તિકેય મહેતા, નિવિદ પારેખ ગૌરાંગ ગોકાણી, પિયુષ શાહ, નીતેશ કથીરીયા નિવિદ પારેખ રોકાયા હતા.