WatchGujarat. દશરથ જિલ્લા પંચાયતની સીટ પર જિલ્લા ભાજપ દ્વારા નરેન્દ્ર રોહિતને ટીકીટ આપતા વાલ્મિકી સમાજના ટિકિટવાંચ્છુ પ્રવિણ સોલંકી અને તેમના સમર્થકોએ નારાજ થઈને જિલ્લા ભાજપની સમા તળાવ સ્થિત ઓફિસ ખાતે હોબાળો કર્યો હતો. તેમને વાલ્મીકી સમાજને ભાજપ પક્ષ ક્યારેય ટીકીટ ન આપતી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલનો ઘેરાવ કરીને સુત્રોચ્ચાર કર્યાં હતાં. હોબાળાના પગલે અશ્વિન પટેલને લીફ્ટના બદલે દાદર ચઢીને ત્રીજા માળે આવેલી જિલ્લા ભાજપની ઓફિસમાં જવું પડ્યું હતું.
જ્યાં પણ વાલ્મિકી સમાજના પ્રવિણ સોલંકી અને તેના સમર્થકો પહોચી જતા જિલ્લા ભાજપ પ્રમુખને તેમની કેબીનમાં પુરાઈ જવું પડ્યું હતું. છેવટે પોલીસને બોલાવતા મામલો થાડે પડ્યો હતો. આસોજ ગામના પ્રવિણભાઈ અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,મેં દશરથ જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપમાંથી ટીકીટ માંગી હતી. મારા સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે મારૂ નામ મુક્યું હતું. મને ટીકીટ અપાય તેવી વાત ચાલતી હતી.
પરંતું જિલ્લા ભાજપના મહામંત્રી કલ્પેશભાઈ પટેલ, દુમાડના બક્ષીપંચના મહામંત્રી અને રસીક પ્રજાપતિએ રૂ.11 લાખ લઈને મારી ટીકીટ કાપી છે. કલ્પેશભાઈને ત્યાં વાડી બનાવવાનું કામ ચાલે છે,અને વાડી બનાવવા માટે નટુભાઈ ટ્રેડર્સના ત્યાંથી સામાન જાય છે. જેથી કલ્પેશભાઈએ નટુભાઈની ભલામણ કરી છે.જ્યારે હું શુક્રવારે મારા ગુરૂના આશીર્વાદ લઈને અપક્ષ તરીકે ચુંટણી લડવા જાઉ છું.તેમજ હું દશરથની સીટ જીતીને લાવીશ અને વાલ્મીકી સમાજની તાકાત બતાવીશ. હું પાર્ટીમાં છેલ્લા 14 વર્ષથી કામ કરૂ છું, અને એક પણ વર્ષે વાલ્મીકી સમાજને ટીકીટ આપાઈ નથી.