સોમવારથી Watch Gujarat પર શરૂ થઈ રહેલી સીધી વાતના લેખકે પુસ્તકમાં વ્યક્ત કરેલી ભાવના અત્રે પ્રસ્તુત છે.
‘સીધી વાત’ એટલે ટીવી પરના કાર્યક્રમમાં મેં રજૂ કરેલા વિષયોમાંથી સંકલિત કેટલાક વિષયો, એટલે કે મારી ટીવી ટોક. ટીવી પર મારા આ કાર્યક્રમની શરૂઆત સાવ અચાનક જ થઈ હતી.
સંસારથી અને સાચું કહું તો કામ કરવાથી મને વારંવાર કંટાળો આવી જતો હોય છે. એટલે જ જિંદગીમાં મેં કેટલાય લાંબા વેકેશનો ભોગવ્યા છે. ૨૦૦૦ની સાલ પછી આવો જ કોઈ વૈરાગ્ય મને આવી ગયેલો, આ વૈરાગ્ય આવવાનું કારણ પણ એક જજ સાહેબનો ચુકાદો હતો. બન્યું એવું કે જેલમાં રહેલા એક 80 વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી કરેલી. 80 વર્ષનો બાપ અને 30 વર્ષનો પુત્ર હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે. આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું જીતુભાઈ જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી. મે તેમ છતાં પૂરે પૂરા દિલથી પૂરે પૂરી દલીલો કરી. મને આશા હતી કે આ જામીન અરજી તો ચોક્કસ મંજૂર થશે કારણકે બનાવના દિવસે બાપની હાજરી બીજે હતી તેવું પોલીસ રેકોર્ડ ઉપરથી જ પુરવાર થતું હતું. સાંજે 5 વાગે ચુકાદો આવ્યો કે જામીન ના મંજૂર. અને એજ રાત્રે આ 80 વર્ષના આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી.
સવારે અખબારમાં આ સમાચાર વાંચ્યા અને ન્યાયમંદિર ગયો. થોડી વારમાં જજ સાહેબનો પટવાળો મને બોલાવવા આવ્યો. હું સાહેબની ચેમ્બરમાં ગયો મને જોઈને સાહેબની આંખમાં આંસુ આવી ગયા, સાહેબે મને કહ્યું જીતુભાઈ આઈ એમ રોંગ કાલે તમારી દલીલો મારે ગળે ઉતરી પણ હતી પણ માત્ર હત્યા કેસમાં જામીન નહીં આપવા જોઈએ તેવી મારી જીદને કારણે એક વૃધ્ધ માણસને આત્મહત્યા કરવી પડી. આઈ એમ ગીલ્ટી. સાહેબનો પશ્ચાતાપ સાચો હતો પણ હવે કશું થઈ શકે તેમ ના હતું. હું સાહેબની ચેમ્બરમાથી બહાર આવ્યો અને સીધો મારે ઘરે પહોંચી ગયો અને મારી પત્ની હર્ષાને કહ્યું કે મારી પાસે જે બે મર્ડર કેસ બાકી છે તે પૂરા થયા પછી હું વકીલાત નહીં કરું. અને એક માહિનામાં મારી વકીલાત પૂરી થઈ ગઈ. આ બનાવ પછી મે મારી જાતને મારા ઘરના ઉપરના માળમાં કેદ કરી લીધી ભાગ્યે હું નીચે આવતો આમ એકાદ વર્ષથી મારા ઘરમાંથી બહાર જ નીકળ્યો ન હતો. તે સમયે હું વડોદરાના મકરપુરામાં રામબાગ સોસાયટીમાં રહેતો હતો.
એક દિવસ મારે ત્યાં કોઈ પ્રસંગનો નાનકડો જમણવાર હતો, અને મારા ભાણેજ-જમાઈ રત્નાકર રાઉરકર મારે ઘેર આવેલા. રત્નાકર રાઉરકાર એ સમયે વડોદરાની ૨૪ કલાક ચાલતી એક લોકલ ન્યુઝ ચેનલ “દીપ ચેનલ”ના એડિટર. મને કહે, “મામા, તમે મારી ચેનલ પર કશુંક બોલો. સમાચાર પછી તમારી આઠ-દસ મીનિટની ટીવી ટોક મુકીએ.”
વાસ્તવમાં રાઉરકરની ખરી ઇચ્છા મને ઘરમાંથી બહાર કાઢવાની. મેં કહ્યું, કે હું કાલથી આવીશ અને ટીવી ટોક આપીશ.
બીજે દિવસે હું જૂની મહારાણી શાંતાદેવી ટોકીઝ અને હાલમાં દીપ ચેમ્બર નામે ઓળખાતા બિલ્ડીગમાં આવેલી દીપ ચેનલની ઓફિસે ગયો. આ દીપ ચેનલના માલિક વડોદરાના બહુ જાણીતા બિલ્ડર શ્રી અશ્વિન પટેલ જે અશ્વિન બાપુના નામે ઓળખાય છે તે હતા અને તેમની પુત્રી પ્રિયા બાખૂબી આ ચેનલ ચલાવતા. આ પહેલા મેં ક્યારેય ટીવી પ્રસારણ માટે રેકોર્ડિંગ કરાવેલ નહીં. અને શું બોલવું એ પણ નક્કી નહીં . અચાનક દીપ ચેનલની ઓફિસમાં પડેલા અખબારો પર મારી નજર પડી. જોયું તો ફૂલ પેઈજની એક જાહેરાત. ‘કૈલાસ-માનસરોવરની યાત્રા પર જનાર દરેક ગુજરાતી યાત્રીને રૂપિયા દસ હજાર રોકડા અને દસ હજારની કીટ ગુજરાત સરકાર આપશે.'
રાઉરકરે કહ્યું, “મામા ચાલો.” અને હું કેમેરા સામે ગોઠવાઈ ગયો, અને ‘સીધી વાત’ની શરૂઆત મેં આ કૈલાસ-માનસરોવર યાત્રાની જાહેરાત પર નિશાન તાકીને જ કરી . મેં કહ્યું, કે કૈલાસ-માનસરોવરની સરકાર પ્રાયોજિત યાત્રામાં પૂરા ભારતમાંથી ફક્ત ૩૨૦ યાત્રીઓને પસંદ કરાય છે. તો આ લોટરીમાં ગુજરાતમાંથી માત્ર દસ કે પંદર યાત્રીઓનો માંડ નંબર લાગ્યો હશે. પંદર યાત્રીઓને ગુજરાત સરકારે જો ૨૦ હજાર રૂપિયાની મદદ કરી હોય, તો કુલ ત્રણ લાખ રૂપિયાની મદદ માંડ કરી હશે . અને ગુજરાતના દરેક અખબારમાં આખા પાનની જાહેરાત આપવામાં ગુજરાત સરકારે ઓછામાં ઓછા ત્રણ-ચાર કરોડ ખર્ચી નાખ્યા હશે . તો આ જાહેરાત કરવાને બદલે ગુજરાત સરકારે ભારતમાથી જતાં તમામે તમામ 320 યાત્રીઓને ૨૦ હજારની મદદ કરી હોત તો શું વાંધો હતો? વિગેરે-વિગેરે. મતલબ કે કેશુભાઈની સરકારની ઝાટકણી કાઢીને મારી પહેલી ટીવી ટોક પૂરી કરી.
સમાચાર ઉપરાંતમાં આ ટીવી ટોક અપાતી હોવાથી રાઉરકરે તેનું નામ આપ્યું “ન્યુઝ પ્લસ”. પછી તો આ ટીવી ટોક લોકપ્રિય થતાં રાઉરકર અને પ્રિયાબેને સમાચાર ઉપરાંત તેના માટે અડધો કલાક ફાળવી દીધો, અને તેનું નામકરણ પણ રાઉરકરે જ કર્યું ‘સીધી વાત’.
આમ દીપ ચેનલમાં આ ‘સીધી વાત’ શરૂ થઈ, અને જો હું કોઈનો ઇન્ટરવ્યું લઉં, તો એનું નામ આપવામાં આવ્યું ‘આમને સામને’.
‘આમને સામને’માં તે સમયના દિગ્ગજ ગણાતા નેતા અને પ્રધાન જશપાલસિંગનો ઇન્ટરવ્યુ લીધો. એક કલાકના આ સ્ફોટક ઇન્ટરવ્યુમાં કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં જસપાલ સિંગે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના જમાઈ ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું અને કેશુભાઈ નિષ્ફળ મુખ્યમંત્રી હોવાના ખુલ્લામાં ખુલ્લા આક્ષેપો કર્યા. કેશુભાઈ પટેલ સામે બળવાની આ શરૂઆત હતી અને તેની જાહેરાત કોઈ નેશનલ મીડિયા કે અખબારમાં કરવાને બદલે જશપાલ સિંગે અમારી દીપ ચેનલથી કરી. આ ઇન્ટરવ્યુની નોંધ વડોદરાના તમામ અખબારો અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સહિત દેશભરના અખબારોએ લીધી.
આ સ્ફોટક ઇન્ટરવ્યુના પરિણામે જશપાલસિંગની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી એ એક આડ વાત થઈ, પણ રત્નાકર રાઉરકર, દીપ ચેનલ અને આ સીધી વાતે મને મારા એકાંતવાસમાંથી મુક્તિ અપાવી એ એક સીધી વાત થઈ.
એકાદ વર્ષ પછી માલિકો દ્વારા દીપ ચેનલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને મારા મિત્ર ગિરીશભાઈ શાહના અત્યંત આગ્રહને કારણે મેં મારી પોતાની ન્યુઝ ચેનલ શરૂ કરી. એનું નામ શું આપવું તે વિચારતા હતા અને ગિરીશભાઈ શાહે એનું નામ “ન્યુઝ પ્લસ” ચેનલ રાખ્યું, અને મારા વાર્તાલાપનું એ જ નામ ‘સીધી વાત’ અમે ચાલુ રાખ્યું. આ ચેનલ ખોલવાનો નિર્ણય અમે લીધો ત્યારે મારા ગજવામાં માત્ર 156 રૂપિયા હતા. આ નવી ચેનલ શરૂ કરવાના મારા વિચારને સાર્થક કરવામાં મારા પરમ મિત્ર સ્વ. પ્રકાશ પંડયાએ પણ ખૂબ મદદ કરી.
ન્યુઝ પ્લસ ચેનલ શરૂ થઈ ૯ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ મારા મિત્ર હરીશ અમિન (ભૂરિયા)ની હોટલ જલસાગરમાં, અને ૨૭ તારીખે ગોધરાકાંડ થયો . મારી ચેનલના ઉદઘાટનના થોડા સમયમાં મારી મોટી પુત્રી ખ્યાતિ મારી સાથે જોડાઈ ગઈ હતી.
એક વાત કહી દઉં, કે મારી ચેનલ પર, સમાચાર કરતાં લોકોને વધારે અપીલ કરી જતી હતી મારી ‘સીધી વાત’. આમ ૨૦૦૨થી માંડીને આજ સુધી ટીવી પરની ‘સીધી વાત’ ખૂબ જ લોકપ્રિય રહી છે. આશા રાખું, કે એ વાતોમાંથી પસંદગીની કેટલીક સીધી વાતોના આ પુસ્તક સંસ્કરણને પણ એવો જ પ્રતિસાદ મળશે.
ટીવી પર કરેલી મારી હજારો ‘સીધી વાત’નું કોઈ રેકોર્ડિંગ મેં કાળજીપૂર્વક સાચવ્યું નથી. અનેક રસપ્રદ ‘સીધી વાતો’ હું ભૂલી પણ ગયો હોઈશ, પરંતુ એ સમયની ઘટનાઓ અને એ પરના મારા એ સમયના પ્રતિસાદોમાંથી જે કંઈ યાદ રહ્યું છે, તેનો માત્ર સ્મરણોના સહારે જ અહીં સમાવેશ કરું છું.
‘સીધી વાત’ના ઘણા દર્શકો અને મિત્રો ‘સીધી વાત’ને પુસ્તકરૂપે પ્રગટ કરવા આગ્રહ કરતા હતા. તેમાં મુખ્ય હતા મારા મિત્ર ડો. દીનાબેન શાહ, સ્વ. પ્રકાશ પંડ્યા, અને સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં હાલમાં ફરજ બજાવતા અનંત આનંદ.
પછી તો પ્રકાશ પંડ્યાએ “હવે તો ઉત્તર આપો કૃષ્ણ” એ નામનંત એક પુસ્તક લખ્યું જેમાં મેં પ્રસ્તાવના પણ લખી. આ પુસ્તકના કેટલાક લખાણોનો ઉલ્લેખ પૂજ્ય મોરારીબાપુએ એમની કથામાં પણ નામ જોગ કરેલો. એ પુસ્તકના વિમોચન પ્રસંગે મેં મારા મનમાં ‘સીધી વાત’ને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનો પાક્કો નિર્ધાર કર્યો, અને તેના પરિણામ સ્વરૂપે આજે આ પુસ્તક આપના હાથમાં છે.
મારા વિચારો પર આચાર્ય રજનીશ અને દંતાલીના સચિદાનંદ સ્વામીનો ભારે પ્રભાવ રહ્યો છે. ન્યૂસ પ્લસ ચેનલના ટાઇટલમાં મેં સ્વામી સચિદાનંદજીનો ફોટો કાયમ રાખેલો. વડોદરાના સિંધવઈમાતા રોડ પર આવેલ આયુર્વેદિક હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને સાક્ષાત ધન્વંતરીના અવતારસમ વૈદ્યરાજ સારાભાઈ અને વડોદરામાંથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિવૃત્ત થયેલા નરેન્દ્ર સિંહ જાડેજા અને ન્યુ ઇરા હાઇસ્કૂલના મારા શિક્ષક રામચંદ્ર રાનડે મારા માટે કાયમ પિતા તુલ્ય રહ્યા છે અને આ વડીલોએ મને પુત્રની જેમ ચાહ્યો છે.
આ પ્રસંગે હું મારા કલમગુરુ વંદનીય દિનેશ પાઠક કે જેઓ “સંદેશ” અખબારના તંત્રી હતા જે મારો હાથ પકડીને મારી અનિચ્છા હોવા છતાં સંદેશ અખબારમાં લઈ ગયા અને મને પત્રકારીત્વ અને અસ્ખલિત એટ્લે કે પેન રોકાયા વગર લખતા શીખવાડયું. તેમને વંદન કરું છું.
2010 થી 2014 સુધી ફરી એક વાર નિવૃત્ત થઈ ગયેલો. એક દિવસ દલસુખભાઇ પ્રજાપતિએ મને બોલાવી કહ્યું કે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો માટે લડો, હું દર મહિને તમને રૂ. 25,000/- આપીશ એમ કહી રૂ. 25,000/- હાથમાં મૂકી દીધા. હું ફરી એકવાર સક્રિય થઈ ગયો અને હાઇકોર્ટ અને વડોદરાની કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંડ્યો. એક વર્ષ પછી મેં જાતે જ દલસુખભાઇને કહ્યું, હવે હું ખૂબ કમાવા માંડ્યો છું મારે રૂ. 25,000/- જરૂર નથી. અને તે પછી અંકોડિયાના ખેડૂત અગ્રણી ઘનશ્યામભાઇ ઉર્ફે રોહિતભાઈ પટેલની સાથે મળીને ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના કરી અને ખેડૂત લડત શરૂ થઈ. આમ આ વખતે દલસુખભાઇએ મને નિષ્ક્રિયતામાંથી બહાર કાઢ્યો.
ખૂબ ટૂંકા સમયમાં આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા બદલ કવિ શ્રી ભાગ્યેશ જહાનો ખૂબ આભારી છું. વડોદરાના કલેક્ટર તરીકે ભાગ્યેશભાઈ સાથે ખૂબ અંગત ઘરોબો રહેલો અને ન્યૂઝ પ્લસ ચેનલ પર એમનો પ્રેમ એટલો બધો કે રોજ તેમના બંગલે ન્યૂઝ પ્લસની કેસેટ મંગાવે અને રાત્રે જમવા બેસતી વખતે અચૂક આ કેસેટ સાંભળે.
આ પુસ્તકમાં સમાવેલી સીધીવાતો ઘણા લાંબા સમય સુધી લખીને મૂકી રાખેલી તે મારી સાથે કામ કરતાં વકીલ કોમલ શર્માના હાથમાં આવી અને તેમણે તેને ટાઈપ કરી મૂકી રાખેલી. મારા નિવાસ સ્થાને બીજા અને ચોથા ગુરુવારે મળતી કવિ સંગતના એક કવિ યુગલ મીનાક્ષી ચંદારાણા અને અશ્વિન ચંદારાણાએ સાયુજ્ય પ્રકાશનની શરૂઆત કરી અને તેમના આગ્રહથી મે ટાઈપ થઈને કોમ્પ્યુટરમાં પડી રહેલી સીધીવાત તેમને મોકલાવી. આ વાત પણ મને ભુલાઈ ગયેલી. નવ-દસ મહિને કવિ સંગતની બેઠક પૂરી થયા બાદ અશ્વિનભાઈએ સીધીવાત પુસ્તકની ડમી મારી સામે મૂકી દીધી અને આમ આ સીધીવાત આપના સુધી પહોંચી રહી છે.
આ પુસ્તકનાં પ્રૂફ રીડિંગ માટે કવિ જૈમિન ઠક્કર – પથિક તેમજ આખું પુસ્તક કાળજીપૂર્વક જોઈને સહૃદયતાપૂર્વક સૂચનો કરવા માટે કવિશ્રી અશોક જાની – આનંદનો ખૂબ આભારી છું. આ પુસ્તકને ફરી ફરી ટાઈપ કરી આપી મને ખૂબ મદદરૂપ થયેલા મારા સાથી વકીલ પ્રતિક પ્રજાપતિનો પણ આભારી છું.
અહીં સમાવાયેલા પ્રત્યેક વિષયને મેં તર્કબદ્ધ રીતે, અને ભારતીય તત્વચિંતનને ધ્યાનમાં રાખીને સત્યની કસોટીએ ચઢાવીને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, મારું સત્ય એ કોઈ સનાતન સત્ય હોવાનો મારો દાવો નથી. મારી વાતમાં માહિતી દોષ હોવાનું પણ શક્ય છે, કારણ કે ‘સીધી વાત’ કહેતા પહેલાં મેં ક્યારેય, કોઈ તૈયારી કરી ન હતી. હૃદયમાંથી જે વાત નીકળી તેને મેં સીધેસીધી જ કહી દેવાનું મેં પસંદ કર્યું હતું.
બની શકે કે ટીવી પર કહેલી ‘સીધી વાત’ અને પુસ્તકમાં પ્રગટ થયેલી ‘સીધી વાત’માં તફાવતો પણ હોય. કારણ કે પહેલાંની માફક આજે પણ આ ‘સીધી વાત’ લખવા માટે મેં કોઈ રેકોર્ડિંગ તપાસેલ નથી.
અસ્તુ.
જીતુભાઈ પંડ્યા
સોમવારથી Watch Gujarat પર શરૂ થઈ રહેલી સીધી વાતના લેખકે પુસ્તકમાં વ્યક્ત કરેલી ભાવના અત્રે પ્રસ્તુત છે.
‘સીધી વાત’ એટલે ટીવી પરના કાર્યક્રમમાં મેં રજૂ કરેલા વિષયોમાંથી સંકલિત કેટલાક વિષયો, એટલે કે મારી ટીવી ટોક. ટીવી પર મારા આ કાર્યક્રમની શરૂઆત સાવ અચાનક જ થઈ હતી.
સંસારથી અને સાચું કહું તો કામ કરવાથી મને વારંવાર કંટાળો આવી જતો હોય છે. એટલે જ જિંદગીમાં મેં કેટલાય લાંબા વેકેશનો ભોગવ્યા છે. ૨૦૦૦ની સાલ પછી આવો જ કોઈ વૈરાગ્ય મને આવી ગયેલો, આ વૈરાગ્ય આવવાનું કારણ પણ એક જજ સાહેબનો ચુકાદો હતો. બન્યું એવું કે જેલમાં રહેલા એક 80 વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી કરેલી. 80 વર્ષનો બાપ અને 30 વર્ષનો પુત્ર હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે. આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું જીતુભાઈ જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી. મે તેમ છતાં પૂરે પૂરા દિલથી પૂરે પૂરી દલીલો કરી. મને આશા હતી કે આ જામીન અરજી તો ચોક્કસ મંજૂર થશે કારણકે બનાવના દિવસે બાપની હાજરી બીજે હતી તેવું પોલીસ રેકોર્ડ ઉપરથી જ પુરવાર થતું હતું. સાંજે 5 વાગે ચુકાદો આવ્યો કે જામીન ના મંજૂર. અને એજ રાત્રે આ 80 વર્ષના આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી.
સવારે અખબારમાં આ સમાચાર વાંચ્યા અને ન્યાયમંદિર ગયો. થોડી વારમાં જજ સાહેબનો પટવાળો મને બોલાવવા આવ્યો. હું સાહેબની ચેમ્બરમાં ગયો મને જોઈને સાહેબની આંખમાં આંસુ આવી ગયા, સાહેબે મને કહ્યું જીતુભાઈ આઈ એમ રોંગ કાલે તમારી દલીલો મારે ગળે ઉતરી પણ હતી પણ માત્ર હત્યા કેસમાં જામીન નહીં આપવા જોઈએ તેવી મારી જીદને કારણે એક વૃધ્ધ માણસને આત્મહત્યા કરવી પડી. આઈ એમ ગીલ્ટી. સાહેબનો પશ્ચાતાપ સાચો હતો પણ હવે કશું થઈ શકે તેમ ના હતું. હું સાહેબની ચેમ્બરમાથી બહાર આવ્યો અને સીધો મારે ઘરે પહોંચી ગયો અને મારી પત્ની હર્ષાને કહ્યું કે મારી પાસે જે બે મર્ડર કેસ બાકી છે તે પૂરા થયા પછી હું વકીલાત નહીં કરું. અને એક માહિનામાં મારી વકીલાત પૂરી થઈ ગઈ. આ બનાવ પછી મે મારી જાતને મારા ઘરના ઉપરના માળમાં કેદ કરી લીધી ભાગ્યે હું નીચે આવતો આમ એકાદ વર્ષથી મારા ઘરમાંથી બહાર જ નીકળ્યો ન હતો. તે સમયે હું વડોદરાના મકરપુરામાં રામબાગ સોસાયટીમાં રહેતો હતો.
એક દિવસ મારે ત્યાં કોઈ પ્રસંગનો નાનકડો જમણવાર હતો, અને મારા ભાણેજ-જમાઈ રત્નાકર રાઉરકર મારે ઘેર આવેલા. રત્નાકર રાઉરકાર એ સમયે વડોદરાની ૨૪ કલાક ચાલતી એક લોકલ ન્યુઝ ચેનલ “દીપ ચેનલ”ના એડિટર. મને કહે, “મામા, તમે મારી ચેનલ પર કશુંક બોલો. સમાચાર પછી તમારી આઠ-દસ મીનિટની ટીવી ટોક મુકીએ.”
વાસ્તવમાં રાઉરકરની ખરી ઇચ્છા મને ઘરમાંથી બહાર કાઢવાની. મેં કહ્યું, કે હું કાલથી આવીશ અને ટીવી ટોક આપીશ.
બીજે દિવસે હું જૂની મહારાણી શાંતાદેવી ટોકીઝ અને હાલમાં દીપ ચેમ્બર નામે ઓળખાતા બિલ્ડીગમાં આવેલી દીપ ચેનલની ઓફિસે ગયો. આ દીપ ચેનલના માલિક વડોદરાના બહુ જાણીતા બિલ્ડર શ્રી અશ્વિન પટેલ જે અશ્વિન બાપુના નામે ઓળખાય છે તે હતા અને તેમની પુત્રી પ્રિયા બાખૂબી આ ચેનલ ચલાવતા. આ પહેલા મેં ક્યારેય ટીવી પ્રસારણ માટે રેકોર્ડિંગ કરાવેલ નહીં. અને શું બોલવું એ પણ નક્કી નહીં . અચાનક દીપ ચેનલની ઓફિસમાં પડેલા અખબારો પર મારી નજર પડી. જોયું તો ફૂલ પેઈજની એક જાહેરાત. ‘કૈલાસ-માનસરોવરની યાત્રા પર જનાર દરેક ગુજરાતી યાત્રીને રૂપિયા દસ હજાર રોકડા અને દસ હજારની કીટ ગુજરાત સરકાર આપશે.'
રાઉરકરે કહ્યું, “મામા ચાલો.” અને હું કેમેરા સામે ગોઠવાઈ ગયો, અને ‘સીધી વાત’ની શરૂઆત મેં આ કૈલાસ-માનસરોવર યાત્રાની જાહેરાત પર નિશાન તાકીને જ કરી . મેં કહ્યું, કે કૈલાસ-માનસરોવરની સરકાર પ્રાયોજિત યાત્રામાં પૂરા ભારતમાંથી ફક્ત ૩૨૦ યાત્રીઓને પસંદ કરાય છે. તો આ લોટરીમાં ગુજરાતમાંથી માત્ર દસ કે પંદર યાત્રીઓનો માંડ નંબર લાગ્યો હશે. પંદર યાત્રીઓને ગુજરાત સરકારે જો ૨૦ હજાર રૂપિયાની મદદ કરી હોય, તો કુલ ત્રણ લાખ રૂપિયાની મદદ માંડ કરી હશે . અને ગુજરાતના દરેક અખબારમાં આખા પાનની જાહેરાત આપવામાં ગુજરાત સરકારે ઓછામાં ઓછા ત્રણ-ચાર કરોડ ખર્ચી નાખ્યા હશે . તો આ જાહેરાત કરવાને બદલે ગુજરાત સરકારે ભારતમાથી જતાં તમામે તમામ 320 યાત્રીઓને ૨૦ હજારની મદદ કરી હોત તો શું વાંધો હતો? વિગેરે-વિગેરે. મતલબ કે કેશુભાઈની સરકારની ઝાટકણી કાઢીને મારી પહેલી ટીવી ટોક પૂરી કરી.
સમાચાર ઉપરાંતમાં આ ટીવી ટોક અપાતી હોવાથી રાઉરકરે તેનું નામ આપ્યું “ન્યુઝ પ્લસ”. પછી તો આ ટીવી ટોક લોકપ્રિય થતાં રાઉરકર અને પ્રિયાબેને સમાચાર ઉપરાંત તેના માટે અડધો કલાક ફાળવી દીધો, અને તેનું નામકરણ પણ રાઉરકરે જ કર્યું ‘સીધી વાત’.
આમ દીપ ચેનલમાં આ ‘સીધી વાત’ શરૂ થઈ, અને જો હું કોઈનો ઇન્ટરવ્યું લઉં, તો એનું નામ આપવામાં આવ્યું ‘આમને સામને’.
‘આમને સામને’માં તે સમયના દિગ્ગજ ગણાતા નેતા અને પ્રધાન જશપાલસિંગનો ઇન્ટરવ્યુ લીધો. એક કલાકના આ સ્ફોટક ઇન્ટરવ્યુમાં કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં જસપાલ સિંગે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના જમાઈ ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું અને કેશુભાઈ નિષ્ફળ મુખ્યમંત્રી હોવાના ખુલ્લામાં ખુલ્લા આક્ષેપો કર્યા. કેશુભાઈ પટેલ સામે બળવાની આ શરૂઆત હતી અને તેની જાહેરાત કોઈ નેશનલ મીડિયા કે અખબારમાં કરવાને બદલે જશપાલ સિંગે અમારી દીપ ચેનલથી કરી. આ ઇન્ટરવ્યુની નોંધ વડોદરાના તમામ અખબારો અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સહિત દેશભરના અખબારોએ લીધી.
આ સ્ફોટક ઇન્ટરવ્યુના પરિણામે જશપાલસિંગની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી એ એક આડ વાત થઈ, પણ રત્નાકર રાઉરકર, દીપ ચેનલ અને આ સીધી વાતે મને મારા એકાંતવાસમાંથી મુક્તિ અપાવી એ એક સીધી વાત થઈ.
એકાદ વર્ષ પછી માલિકો દ્વારા દીપ ચેનલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને મારા મિત્ર ગિરીશભાઈ શાહના અત્યંત આગ્રહને કારણે મેં મારી પોતાની ન્યુઝ ચેનલ શરૂ કરી. એનું નામ શું આપવું તે વિચારતા હતા અને ગિરીશભાઈ શાહે એનું નામ “ન્યુઝ પ્લસ” ચેનલ રાખ્યું, અને મારા વાર્તાલાપનું એ જ નામ ‘સીધી વાત’ અમે ચાલુ રાખ્યું. આ ચેનલ ખોલવાનો નિર્ણય અમે લીધો ત્યારે મારા ગજવામાં માત્ર 156 રૂપિયા હતા. આ નવી ચેનલ શરૂ કરવાના મારા વિચારને સાર્થક કરવામાં મારા પરમ મિત્ર સ્વ. પ્રકાશ પંડયાએ પણ ખૂબ મદદ કરી.
ન્યુઝ પ્લસ ચેનલ શરૂ થઈ ૯ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ મારા મિત્ર હરીશ અમિન (ભૂરિયા)ની હોટલ જલસાગરમાં, અને ૨૭ તારીખે ગોધરાકાંડ થયો . મારી ચેનલના ઉદઘાટનના થોડા સમયમાં મારી મોટી પુત્રી ખ્યાતિ મારી સાથે જોડાઈ ગઈ હતી.
એક વાત કહી દઉં, કે મારી ચેનલ પર, સમાચાર કરતાં લોકોને વધારે અપીલ કરી જતી હતી મારી ‘સીધી વાત’. આમ ૨૦૦૨થી માંડીને આજ સુધી ટીવી પરની ‘સીધી વાત’ ખૂબ જ લોકપ્રિય રહી છે. આશા રાખું, કે એ વાતોમાંથી પસંદગીની કેટલીક સીધી વાતોના આ પુસ્તક સંસ્કરણને પણ એવો જ પ્રતિસાદ મળશે.
ટીવી પર કરેલી મારી હજારો ‘સીધી વાત’નું કોઈ રેકોર્ડિંગ મેં કાળજીપૂર્વક સાચવ્યું નથી. અનેક રસપ્રદ ‘સીધી વાતો’ હું ભૂલી પણ ગયો હોઈશ, પરંતુ એ સમયની ઘટનાઓ અને એ પરના મારા એ સમયના પ્રતિસાદોમાંથી જે કંઈ યાદ રહ્યું છે, તેનો માત્ર સ્મરણોના સહારે જ અહીં સમાવેશ કરું છું.
‘સીધી વાત’ના ઘણા દર્શકો અને મિત્રો ‘સીધી વાત’ને પુસ્તકરૂપે પ્રગટ કરવા આગ્રહ કરતા હતા. તેમાં મુખ્ય હતા મારા મિત્ર ડો. દીનાબેન શાહ, સ્વ. પ્રકાશ પંડ્યા, અને સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં હાલમાં ફરજ બજાવતા અનંત આનંદ.
પછી તો પ્રકાશ પંડ્યાએ “હવે તો ઉત્તર આપો કૃષ્ણ” એ નામનંત એક પુસ્તક લખ્યું જેમાં મેં પ્રસ્તાવના પણ લખી. આ પુસ્તકના કેટલાક લખાણોનો ઉલ્લેખ પૂજ્ય મોરારીબાપુએ એમની કથામાં પણ નામ જોગ કરેલો. એ પુસ્તકના વિમોચન પ્રસંગે મેં મારા મનમાં ‘સીધી વાત’ને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનો પાક્કો નિર્ધાર કર્યો, અને તેના પરિણામ સ્વરૂપે આજે આ પુસ્તક આપના હાથમાં છે.
મારા વિચારો પર આચાર્ય રજનીશ અને દંતાલીના સચિદાનંદ સ્વામીનો ભારે પ્રભાવ રહ્યો છે. ન્યૂસ પ્લસ ચેનલના ટાઇટલમાં મેં સ્વામી સચિદાનંદજીનો ફોટો કાયમ રાખેલો. વડોદરાના સિંધવઈમાતા રોડ પર આવેલ આયુર્વેદિક હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને સાક્ષાત ધન્વંતરીના અવતારસમ વૈદ્યરાજ સારાભાઈ અને વડોદરામાંથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિવૃત્ત થયેલા નરેન્દ્ર સિંહ જાડેજા અને ન્યુ ઇરા હાઇસ્કૂલના મારા શિક્ષક રામચંદ્ર રાનડે મારા માટે કાયમ પિતા તુલ્ય રહ્યા છે અને આ વડીલોએ મને પુત્રની જેમ ચાહ્યો છે.
આ પ્રસંગે હું મારા કલમગુરુ વંદનીય દિનેશ પાઠક કે જેઓ “સંદેશ” અખબારના તંત્રી હતા જે મારો હાથ પકડીને મારી અનિચ્છા હોવા છતાં સંદેશ અખબારમાં લઈ ગયા અને મને પત્રકારીત્વ અને અસ્ખલિત એટ્લે કે પેન રોકાયા વગર લખતા શીખવાડયું. તેમને વંદન કરું છું.
2010 થી 2014 સુધી ફરી એક વાર નિવૃત્ત થઈ ગયેલો. એક દિવસ દલસુખભાઇ પ્રજાપતિએ મને બોલાવી કહ્યું કે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો માટે લડો, હું દર મહિને તમને રૂ. 25,000/- આપીશ એમ કહી રૂ. 25,000/- હાથમાં મૂકી દીધા. હું ફરી એકવાર સક્રિય થઈ ગયો અને હાઇકોર્ટ અને વડોદરાની કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંડ્યો. એક વર્ષ પછી મેં જાતે જ દલસુખભાઇને કહ્યું, હવે હું ખૂબ કમાવા માંડ્યો છું મારે રૂ. 25,000/- જરૂર નથી. અને તે પછી અંકોડિયાના ખેડૂત અગ્રણી ઘનશ્યામભાઇ ઉર્ફે રોહિતભાઈ પટેલની સાથે મળીને ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના કરી અને ખેડૂત લડત શરૂ થઈ. આમ આ વખતે દલસુખભાઇએ મને નિષ્ક્રિયતામાંથી બહાર કાઢ્યો.
ખૂબ ટૂંકા સમયમાં આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા બદલ કવિ શ્રી ભાગ્યેશ જહાનો ખૂબ આભારી છું. વડોદરાના કલેક્ટર તરીકે ભાગ્યેશભાઈ સાથે ખૂબ અંગત ઘરોબો રહેલો અને ન્યૂઝ પ્લસ ચેનલ પર એમનો પ્રેમ એટલો બધો કે રોજ તેમના બંગલે ન્યૂઝ પ્લસની કેસેટ મંગાવે અને રાત્રે જમવા બેસતી વખતે અચૂક આ કેસેટ સાંભળે.
આ પુસ્તકમાં સમાવેલી સીધીવાતો ઘણા લાંબા સમય સુધી લખીને મૂકી રાખેલી તે મારી સાથે કામ કરતાં વકીલ કોમલ શર્માના હાથમાં આવી અને તેમણે તેને ટાઈપ કરી મૂકી રાખેલી. મારા નિવાસ સ્થાને બીજા અને ચોથા ગુરુવારે મળતી કવિ સંગતના એક કવિ યુગલ મીનાક્ષી ચંદારાણા અને અશ્વિન ચંદારાણાએ સાયુજ્ય પ્રકાશનની શરૂઆત કરી અને તેમના આગ્રહથી મે ટાઈપ થઈને કોમ્પ્યુટરમાં પડી રહેલી સીધીવાત તેમને મોકલાવી. આ વાત પણ મને ભુલાઈ ગયેલી. નવ-દસ મહિને કવિ સંગતની બેઠક પૂરી થયા બાદ અશ્વિનભાઈએ સીધીવાત પુસ્તકની ડમી મારી સામે મૂકી દીધી અને આમ આ સીધીવાત આપના સુધી પહોંચી રહી છે.
આ પુસ્તકનાં પ્રૂફ રીડિંગ માટે કવિ જૈમિન ઠક્કર – પથિક તેમજ આખું પુસ્તક કાળજીપૂર્વક જોઈને સહૃદયતાપૂર્વક સૂચનો કરવા માટે કવિશ્રી અશોક જાની – આનંદનો ખૂબ આભારી છું. આ પુસ્તકને ફરી ફરી ટાઈપ કરી આપી મને ખૂબ મદદરૂપ થયેલા મારા સાથી વકીલ પ્રતિક પ્રજાપતિનો પણ આભારી છું.
અહીં સમાવાયેલા પ્રત્યેક વિષયને મેં તર્કબદ્ધ રીતે, અને ભારતીય તત્વચિંતનને ધ્યાનમાં રાખીને સત્યની કસોટીએ ચઢાવીને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, મારું સત્ય એ કોઈ સનાતન સત્ય હોવાનો મારો દાવો નથી. મારી વાતમાં માહિતી દોષ હોવાનું પણ શક્ય છે, કારણ કે ‘સીધી વાત’ કહેતા પહેલાં મેં ક્યારેય, કોઈ તૈયારી કરી ન હતી. હૃદયમાંથી જે વાત નીકળી તેને મેં સીધેસીધી જ કહી દેવાનું મેં પસંદ કર્યું હતું.
બની શકે કે ટીવી પર કહેલી ‘સીધી વાત’ અને પુસ્તકમાં પ્રગટ થયેલી ‘સીધી વાત’માં તફાવતો પણ હોય. કારણ કે પહેલાંની માફક આજે પણ આ ‘સીધી વાત’ લખવા માટે મેં કોઈ રેકોર્ડિંગ તપાસેલ નથી.