(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આજે ગાંધી જયંતી છે. આખા દેશની ચેનલો ગાંધીજીની નાની-મોટી વાતોથી ઊભરાઈ રહી છે. એટલે આજે હું ગાંધીજી અંગે નહીં પણ ગાંધીજીરૂપી પારસમણીને અડકીને ખુદ શુદ્ધ સોનું બની ગયેલ ત્રણ ગાંધીવાદીઓની વાત કરીશ. આ ત્રણે મહાનુભાવો વડોદરાના છે અને ત્રણે જણ મુસલમાન છે. અને મારું સદનસીબ કે આ ત્રણેય મહાનુભાવો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે.
આ ત્રણે મહાનુભાવની વાત સાંભળશો તો લાગશે જેમના થકી તેઓ આટલા ઊજળા થયા એ ગાંધી કેવા મહાન હશે?
સૌ પહેલાં વાત કરીએ યાસિનખાન પઠાણની. વાડી પોલીસ સ્ટેશનથી બરાનપુરાનો રસ્તો ‘યાસિનખાન પઠાણ માર્ગ’ના નામે ઓળખાય છે. હું ૧૯૭૭માં ગાંધીજીની મહાન સંસ્થા મજૂર મહાજન મંડળમાં પુરા સમયના કાર્યકર તરીકે જોડાયો.
નોકરીના દસ-બાર દિવસ થયા હશે. અમારી સંસ્થાના સહમંત્રી કૃષ્ણકાંત કાશીવાલા કહે, “ચાલો જીતુભાઈ એક ફરિશ્તાનાં દર્શન કરવા લઈ જાઉં. અમે યાસિનખાન પઠાણનાં સાવ સામાન્ય ઘરે પહોચ્યાં. પતરાં નાખેલી બે ઓરડીઓ, એક લોખંડનો પલંગ, બે સ્ટીલએજની ફોલ્ડિંગ ખુરશીઓ, ત્રણ પિત્તળનાં પવાલાં, બે-ત્રણ થાળી વાડકીઓ. આ પઠાણસાહેબનો વૈભવ.
આ યાસિનખાન પઠાણ ગુજરાત ઇન્ટુકના પ્રમુખ રહી ચુકેલા એટલે તે સમયે ગુજરાતની ૧૧૦ મિલો, જી.ઇ.બી, એસ.ટી., રેલ્વે બધાં યુનિયનોના પ્રમુખ. તેઓ વડોદરા મજૂર મહાજન મંડળના પણ પ્રમુખ હતા. તેઓ નિવૃત થઈ ગયેલા પણ મહાજનના નિયમ પ્રમાણે તેમને છેલ્લો પગાર મળ્યા કરે એટલે અમે ૧૨૦૦ રૂપિયા કવરમાં નાખીને તેમને આપવા આવેલા.
અમને પાણી પાઈ પઠાણસાહેબ તેમના તકિયા નીચેથી એક કવર લઈ બહાર ગયા. કાશીવાલા મને કહે, “જીતુભાઈ, યાસિનચાચા કેમ બહાર ગયા તે ખબર છે?” મેં કહ્યું, “ના.” તો કાશીવાલાએ કહ્યું કે, “તેમણે કદી બે પગાર ભેગા નથી કર્યા. આગલા મહિનાના ૧૨૦૦ રૂ| માંથી એમણે ૮૦૦-૯૦૦રૂ| બચાવ્યા હશે, તે ગરીબ- વિધવાઓને આપી આવશે પછી આ કવર લેશે. ચાચા પાછા આવ્યા એટલે મે એમને પૂછ્યું કે, “ચાચા કેમ કોઈ બચત નથી રાખતા?” તો કહે, “હું મજૂર મહાજનમાં જોડાયો ત્યારે મેં ગાંધીજીને કહ્યું કે તમે મને કોઈ પણ નિયમ આપો તો ગાંધીજીએ કહ્યું કે યાસિનખાન, નિયમ લે કે ‘બે પગાર ક્યારે ય ભેગા નહિ કરું’ અને આજ સુધી મેં બે પગાર ભેગા નથી કર્યા.
બીજા એવા મહાનુભાવ હતા ડાહ્યાભાઈ પટેલ, શિનોરના મોમાયા પટેલ એટલે આમ મુસલમાન પણ રહેણીકરણી હિંદુની.
૧૯૪૨માં ડાહ્યાભાઈ મુંબઈ સ્ટેટ એટલે કે આજના મહારાષ્ટ્ર-ગુજરાત, રાજસ્થાન અને થોડા મધ્યપ્રદેશમાંથી એલ.એલ.એમ.માં ફસ્ટ ક્લાસ ફસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ પાસ થયા. માત્ર બે જાણ એલ.એલ.એમ.માં પાસ થયેલા. એક ડાહ્યાભાઈ અને બીજા દલાલ, જે પાછળથી ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા.
જે દિવસે પરિણામ આવ્યું તે સાંજે જ ગાંધીજી મુબઈ આવેલા. ડાહ્યાભાઈના કાકા તેમને ગાંધીજીના દર્શન કરવા લઈ ગયા. લાઈનમાં ઊભા રહ્યા, નંબર આવ્યો ડાહ્યાભાઈના કાકાએ ગાંધીજીને કહ્યું, બાપુ, આ મારો ડાહ્યો એલ.એલ.એમ.માં ગોલ્ડ મેડલ લઈને આજે જ પાસ થયો છે એને આશીર્વાદ આપો. ગાંધીજીએ સીધું જ ડાહ્યાભાઈને પૂછ્યું કે, હવે સિવિલ સર્વિસની પરીક્ષા આપી કલેકટર થવું છે? ડાહ્યાભાઈએ કહ્યું કશું નક્કી નથી કર્યું. કાકાએ કહ્યું, બાપુ તમે કહો એ શું કરે? તો બાપુએ ડાહ્યાભાઈને કહ્યું, બોલો ડાહ્યાભાઈ હું કહીશ એ કરશો? ડાહ્યાભાઈએ કહ્યું કરીશ. તો બાપુ કહે વચન આપો કે આખી જિંદગી હું કહીશ એ કરશો. ડાહ્યાભાઈએ કહ્યું હા કરીશ.
બાપુએ તરત એક ચબરખી કાઢી લખ્યું. ભાઈ ગુલઝારીલાલ નંદા, આ ડાહ્યાભાઈને મજૂર મહાજનમાં નોકરી રાખી લેશો. એ ચબરખી લઈ ડાહ્યાભાઈ અમદાવાદ ગયા ત્યાં નંદાસાહેબ તો ના મળ્યા પણ ખંડુભાઈ દેસાઈ મળ્યા.એમણે ડાહ્યાભાઈને કહ્યું તમો વડોદરા મજૂર મહાજનના મહામંત્રી. ડાહ્યાભાઈ વડોદરા આવ્યા. મજૂર મહાજનની ઓફિસ શોધતાં શોધતાં ભદ્ર કચેરીએ આવ્યા તો એક સાયકલની દુકાનના ઓટલા પર બે ખુરશી એક ટેબલ. એ મજૂર મહાજનની ઓફિસ.
એલ.એલ.એમ. ગોલ્ડ મેડાલિસ્ટ ડાહ્યાભાઈ પટેલ ૫૦ કરતાં વધુ વર્ષ મજૂર મહાજન મંડળ વડોદરાના મહામંત્રી રહ્યા. એમનું અવસાન થયું ત્યારે તેમનો પગાર હતો માત્ર ૮૦૦ રૂ| મહીને.
એમણે વકીલાત કરી હોત તો રોજનાં એક લાખ કમાતા હોત. ડાહ્યાભાઈ પટેલે એમનાં ઘરના પ્રસંગો બાપની શિનોરની જમીનો વેચીને પાર પાડેલા. અણીશુદ્ધ ઈમાનદાર માણસ એટલે ડાહ્યાભાઈ પટેલ.
ત્રીજા છે પેન્ટર ચાચા. એમનું સાચું નામ તો મને પણ ખબર નથી. એ સાબરમતી આશ્રમ રહે અને મજૂર મહાજન મંડળમાં નોકરી કરી મજૂરોના પ્રશ્નો ઉકેલે.
સાબરમતી આશ્રમમાં બપોરના ૧૨ થી ૧માં ભોજન મળે. સાડા બાર વાગી ગયેલા અને પેન્ટર મિલમાંથી સાયકલ પર પાછા આવતા હતા. આશ્રમના દરવાજે જ સાયકલના ટાયરમાં પંચર પડ્યું.
સાબરમતી આશ્રમમાં, આશ્રમની જ ૩૦-૪૦ સાયકલો જેને જોઈને એ કોઈ પણ સાયકલ લઈને જતો રહે.પેન્ટરે આશ્રમમાં આવી સ્ટેન્ડમાં સાઈકલ મૂકી જલ્દી ભોજનશાળામાં જમવા બેઠા.
અડધું-પડધુ પણ માંડ ખાધું હશે અને કોઈકે આવીને કહ્યું પેન્ટર તમે પંચરવાળી જે સાઈકલ મૂકીને જમવા આવ્યા તેનું બાપુ પંચર કરવા બેઠા છે. પેન્ટર હાથ ધોઈને દોડ્યા. બાપુ સાયકલનું વ્હીલ ખોલી પંચર બનાવાની તૈયારી કરે. પેન્ટરે બાપુને કહ્યું, બાપુ, આપ રહેવા દો હું પંચર કરી નાખું છું. આપ જમી લો. બાપુ હસતાં હસતાં કહે, પેન્ટર તમે પંચરવાળી સાયકલ મૂકતા હતા ને હું તમારી પાછળ જ હતો. તમારે સાયકલને પંચર કરીને જવું જોઈએ, બીજા કોઈને સાયકલ લઈ જવી હોય તો શું કરે? હવે તમે જમવાનું પતાવો હું પંચર પતાવું છું. આમ પણ મારો જમવાનો સમય પૂરો થઈ ગયો છે. પેન્ટર રડી પડ્યા, બાપુના પગે પડ્યા ને કહ્યું, બાપુ કદી આવું નહિ કરું, આપ જામી લો. બાપુ ટસના મસ ના થયા. પંચર કરી જમ્યા વગર પોતાની રૂમમાં પાછા ફરી ગયા.
આ પેન્ટરચાચા વડોદરા મજૂર મહાજનની ઓફીસ પર આવે અને અમે કહીએ કે પેન્ટરચાચા પંચરવાળી વાત કહો તો પહેલાં એ ખૂબ રડે. કહે, બાપુ મારે લીધે એક ટંક ભૂખ્યા રહ્યા હતા.
પેન્ટરચાચા રસ્તામાં જતા હોય અને કોઈ સાયકલને ફટાકો થાય કે કોઈ પંચરવળી સાયકલ ઢસડીને જતું હોય તો પેન્ટરચાચા રોડ પર પોક મૂકીને રડે. લોકો ભેગા થઈ જાય પૂછે કે ચાચા શું થયું? પણ ચાચા કશું કહે નહિ અને ઊભા થઈને જતા રહે.
ગાંધીજીને અડીને પાવન થઈ ગયેલા આ મહાનુભાવો જો આવા મહાન ચારિત્રવાન હોય તો ગાંધી બાપુ કેવા હશે?
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આજે ગાંધી જયંતી છે. આખા દેશની ચેનલો ગાંધીજીની નાની-મોટી વાતોથી ઊભરાઈ રહી છે. એટલે આજે હું ગાંધીજી અંગે નહીં પણ ગાંધીજીરૂપી પારસમણીને અડકીને ખુદ શુદ્ધ સોનું બની ગયેલ ત્રણ ગાંધીવાદીઓની વાત કરીશ. આ ત્રણે મહાનુભાવો વડોદરાના છે અને ત્રણે જણ મુસલમાન છે. અને મારું સદનસીબ કે આ ત્રણેય મહાનુભાવો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે.
આ ત્રણે મહાનુભાવની વાત સાંભળશો તો લાગશે જેમના થકી તેઓ આટલા ઊજળા થયા એ ગાંધી કેવા મહાન હશે?
સૌ પહેલાં વાત કરીએ યાસિનખાન પઠાણની. વાડી પોલીસ સ્ટેશનથી બરાનપુરાનો રસ્તો ‘યાસિનખાન પઠાણ માર્ગ’ના નામે ઓળખાય છે. હું ૧૯૭૭માં ગાંધીજીની મહાન સંસ્થા મજૂર મહાજન મંડળમાં પુરા સમયના કાર્યકર તરીકે જોડાયો.
નોકરીના દસ-બાર દિવસ થયા હશે. અમારી સંસ્થાના સહમંત્રી કૃષ્ણકાંત કાશીવાલા કહે, “ચાલો જીતુભાઈ એક ફરિશ્તાનાં દર્શન કરવા લઈ જાઉં. અમે યાસિનખાન પઠાણનાં સાવ સામાન્ય ઘરે પહોચ્યાં. પતરાં નાખેલી બે ઓરડીઓ, એક લોખંડનો પલંગ, બે સ્ટીલએજની ફોલ્ડિંગ ખુરશીઓ, ત્રણ પિત્તળનાં પવાલાં, બે-ત્રણ થાળી વાડકીઓ. આ પઠાણસાહેબનો વૈભવ.
આ યાસિનખાન પઠાણ ગુજરાત ઇન્ટુકના પ્રમુખ રહી ચુકેલા એટલે તે સમયે ગુજરાતની ૧૧૦ મિલો, જી.ઇ.બી, એસ.ટી., રેલ્વે બધાં યુનિયનોના પ્રમુખ. તેઓ વડોદરા મજૂર મહાજન મંડળના પણ પ્રમુખ હતા. તેઓ નિવૃત થઈ ગયેલા પણ મહાજનના નિયમ પ્રમાણે તેમને છેલ્લો પગાર મળ્યા કરે એટલે અમે ૧૨૦૦ રૂપિયા કવરમાં નાખીને તેમને આપવા આવેલા.
અમને પાણી પાઈ પઠાણસાહેબ તેમના તકિયા નીચેથી એક કવર લઈ બહાર ગયા. કાશીવાલા મને કહે, “જીતુભાઈ, યાસિનચાચા કેમ બહાર ગયા તે ખબર છે?” મેં કહ્યું, “ના.” તો કાશીવાલાએ કહ્યું કે, “તેમણે કદી બે પગાર ભેગા નથી કર્યા. આગલા મહિનાના ૧૨૦૦ રૂ| માંથી એમણે ૮૦૦-૯૦૦રૂ| બચાવ્યા હશે, તે ગરીબ- વિધવાઓને આપી આવશે પછી આ કવર લેશે. ચાચા પાછા આવ્યા એટલે મે એમને પૂછ્યું કે, “ચાચા કેમ કોઈ બચત નથી રાખતા?” તો કહે, “હું મજૂર મહાજનમાં જોડાયો ત્યારે મેં ગાંધીજીને કહ્યું કે તમે મને કોઈ પણ નિયમ આપો તો ગાંધીજીએ કહ્યું કે યાસિનખાન, નિયમ લે કે ‘બે પગાર ક્યારે ય ભેગા નહિ કરું’ અને આજ સુધી મેં બે પગાર ભેગા નથી કર્યા.
બીજા એવા મહાનુભાવ હતા ડાહ્યાભાઈ પટેલ, શિનોરના મોમાયા પટેલ એટલે આમ મુસલમાન પણ રહેણીકરણી હિંદુની.
૧૯૪૨માં ડાહ્યાભાઈ મુંબઈ સ્ટેટ એટલે કે આજના મહારાષ્ટ્ર-ગુજરાત, રાજસ્થાન અને થોડા મધ્યપ્રદેશમાંથી એલ.એલ.એમ.માં ફસ્ટ ક્લાસ ફસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ પાસ થયા. માત્ર બે જાણ એલ.એલ.એમ.માં પાસ થયેલા. એક ડાહ્યાભાઈ અને બીજા દલાલ, જે પાછળથી ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા.
જે દિવસે પરિણામ આવ્યું તે સાંજે જ ગાંધીજી મુબઈ આવેલા. ડાહ્યાભાઈના કાકા તેમને ગાંધીજીના દર્શન કરવા લઈ ગયા. લાઈનમાં ઊભા રહ્યા, નંબર આવ્યો ડાહ્યાભાઈના કાકાએ ગાંધીજીને કહ્યું, બાપુ, આ મારો ડાહ્યો એલ.એલ.એમ.માં ગોલ્ડ મેડલ લઈને આજે જ પાસ થયો છે એને આશીર્વાદ આપો. ગાંધીજીએ સીધું જ ડાહ્યાભાઈને પૂછ્યું કે, હવે સિવિલ સર્વિસની પરીક્ષા આપી કલેકટર થવું છે? ડાહ્યાભાઈએ કહ્યું કશું નક્કી નથી કર્યું. કાકાએ કહ્યું, બાપુ તમે કહો એ શું કરે? તો બાપુએ ડાહ્યાભાઈને કહ્યું, બોલો ડાહ્યાભાઈ હું કહીશ એ કરશો? ડાહ્યાભાઈએ કહ્યું કરીશ. તો બાપુ કહે વચન આપો કે આખી જિંદગી હું કહીશ એ કરશો. ડાહ્યાભાઈએ કહ્યું હા કરીશ.
બાપુએ તરત એક ચબરખી કાઢી લખ્યું. ભાઈ ગુલઝારીલાલ નંદા, આ ડાહ્યાભાઈને મજૂર મહાજનમાં નોકરી રાખી લેશો. એ ચબરખી લઈ ડાહ્યાભાઈ અમદાવાદ ગયા ત્યાં નંદાસાહેબ તો ના મળ્યા પણ ખંડુભાઈ દેસાઈ મળ્યા.એમણે ડાહ્યાભાઈને કહ્યું તમો વડોદરા મજૂર મહાજનના મહામંત્રી. ડાહ્યાભાઈ વડોદરા આવ્યા. મજૂર મહાજનની ઓફિસ શોધતાં શોધતાં ભદ્ર કચેરીએ આવ્યા તો એક સાયકલની દુકાનના ઓટલા પર બે ખુરશી એક ટેબલ. એ મજૂર મહાજનની ઓફિસ.
એલ.એલ.એમ. ગોલ્ડ મેડાલિસ્ટ ડાહ્યાભાઈ પટેલ ૫૦ કરતાં વધુ વર્ષ મજૂર મહાજન મંડળ વડોદરાના મહામંત્રી રહ્યા. એમનું અવસાન થયું ત્યારે તેમનો પગાર હતો માત્ર ૮૦૦ રૂ| મહીને.
એમણે વકીલાત કરી હોત તો રોજનાં એક લાખ કમાતા હોત. ડાહ્યાભાઈ પટેલે એમનાં ઘરના પ્રસંગો બાપની શિનોરની જમીનો વેચીને પાર પાડેલા. અણીશુદ્ધ ઈમાનદાર માણસ એટલે ડાહ્યાભાઈ પટેલ.
ત્રીજા છે પેન્ટર ચાચા. એમનું સાચું નામ તો મને પણ ખબર નથી. એ સાબરમતી આશ્રમ રહે અને મજૂર મહાજન મંડળમાં નોકરી કરી મજૂરોના પ્રશ્નો ઉકેલે.
સાબરમતી આશ્રમમાં બપોરના ૧૨ થી ૧માં ભોજન મળે. સાડા બાર વાગી ગયેલા અને પેન્ટર મિલમાંથી સાયકલ પર પાછા આવતા હતા. આશ્રમના દરવાજે જ સાયકલના ટાયરમાં પંચર પડ્યું.
સાબરમતી આશ્રમમાં, આશ્રમની જ ૩૦-૪૦ સાયકલો જેને જોઈને એ કોઈ પણ સાયકલ લઈને જતો રહે.પેન્ટરે આશ્રમમાં આવી સ્ટેન્ડમાં સાઈકલ મૂકી જલ્દી ભોજનશાળામાં જમવા બેઠા.
અડધું-પડધુ પણ માંડ ખાધું હશે અને કોઈકે આવીને કહ્યું પેન્ટર તમે પંચરવાળી જે સાઈકલ મૂકીને જમવા આવ્યા તેનું બાપુ પંચર કરવા બેઠા છે. પેન્ટર હાથ ધોઈને દોડ્યા. બાપુ સાયકલનું વ્હીલ ખોલી પંચર બનાવાની તૈયારી કરે. પેન્ટરે બાપુને કહ્યું, બાપુ, આપ રહેવા દો હું પંચર કરી નાખું છું. આપ જમી લો. બાપુ હસતાં હસતાં કહે, પેન્ટર તમે પંચરવાળી સાયકલ મૂકતા હતા ને હું તમારી પાછળ જ હતો. તમારે સાયકલને પંચર કરીને જવું જોઈએ, બીજા કોઈને સાયકલ લઈ જવી હોય તો શું કરે? હવે તમે જમવાનું પતાવો હું પંચર પતાવું છું. આમ પણ મારો જમવાનો સમય પૂરો થઈ ગયો છે. પેન્ટર રડી પડ્યા, બાપુના પગે પડ્યા ને કહ્યું, બાપુ કદી આવું નહિ કરું, આપ જામી લો. બાપુ ટસના મસ ના થયા. પંચર કરી જમ્યા વગર પોતાની રૂમમાં પાછા ફરી ગયા.
આ પેન્ટરચાચા વડોદરા મજૂર મહાજનની ઓફીસ પર આવે અને અમે કહીએ કે પેન્ટરચાચા પંચરવાળી વાત કહો તો પહેલાં એ ખૂબ રડે. કહે, બાપુ મારે લીધે એક ટંક ભૂખ્યા રહ્યા હતા.
પેન્ટરચાચા રસ્તામાં જતા હોય અને કોઈ સાયકલને ફટાકો થાય કે કોઈ પંચરવળી સાયકલ ઢસડીને જતું હોય તો પેન્ટરચાચા રોડ પર પોક મૂકીને રડે. લોકો ભેગા થઈ જાય પૂછે કે ચાચા શું થયું? પણ ચાચા કશું કહે નહિ અને ઊભા થઈને જતા રહે.
ગાંધીજીને અડીને પાવન થઈ ગયેલા આ મહાનુભાવો જો આવા મહાન ચારિત્રવાન હોય તો ગાંધી બાપુ કેવા હશે?