- ચેરમેન ,વાઈસ ચેરમેન અને મેનેજર 4200 રોકાણકારોનાં રૂપિયા 60 કરોડ લઇને ફરાર
- ભક્તિનગર પોલીસે વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની ધરપકડ કરી
WatchGujarat. શહેરનાં ઢેબર રોડ પરના શ્રીમદ ભવન ખાતે આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં સંચાલકો દ્વારા કરોડોની છેતરપીંડી કરાઈ હોવાની એક ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં ચેરમેન ,વાઈસ ચેરમેન અને મેનેજર 4200 રોકાણકારોનાં રૂપિયા 60 કરોડ લઇને ફરાર થયાનું જણાવાયું હતું. આ મામલાની તપાસ દરમિયાન આજે ભક્તિનગર પોલીસે વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની ધરપકડ કરી લીધી છે. જો કે સૂત્રધાર ચેરમેન સંજય દુધાત્રા હજુ પણ પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ ચાલી રહી છે.
જાણો શું હતો સમગ્ર મામલો
આ અંગે પોલીસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંડળીનાં ચેરમેન સંજય દુધાત્રા, વાઈસ-ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા કરોડો ઉઘરાવી ફરાર થઈ ગયાનું પણ જણાવ્યું હતું. મંડળીમાં 4200 રોકાણકારોના રૂ. 60 કરોડ રોકાયેલા હતા. જેને લઈને ભોગ બનનાર લોકોને મંડળી દ્વારા આપવામાં આવેલ રિસીપ્ટ લઈ પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી. #શરાફી મંડળી
પોલીસનાં જણાવ્યા મુજબ, લોકડાઉન દરમિયાન જ મંડળી આર્થિક કટોકટીમાં મુકાઇ ગઇ હતી. જેથી કરીને સભાસદોને સમયસર નાણાં ન ચૂકવી શકતાં ધીમે ધીમે આ વાત એક બાદ એક સભાસદ સુધી પહોંચતાં લોકો સહકારી મંડળીની ઓફિસે પહોંચી ગયા હતા. તેમજ ઉઘરાણીને લઈ હોબાળો કરાયો હતો. ત્યારે મામલો તંગ બનતાં પોલીસે દોડી જઈ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જેને પગલે મંડળી રાતોરાત બંધ કરવાં કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે મુખ્ય સૂત્રધાર સંજય દુધાત્રા ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. #શરાફી મંડળી