ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવા ધારાસભ્યોની શપથ વિધિ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગુજરાત વિધાન સભા ખાતે યોજાયેલી આ શપથ વિધિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ ગુજરાત વિધાનસભામાં 111 બેઠકોના અંક ઉપર પહોંચી છે. આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, દંડક, મંત્રીમંડળના સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપએ તમામ આઠ બેઠકો જીતી હતી. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબી માંથી બ્રિજેશ મેરજા, ધારી માંથી જે. વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરિટસિંહ રાણાનો વિજય થયો હતો. આ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોએ આજરોજ શપથ લીધા હતા.